કાર્ટુન-કલાનાં કામણ
દિગંબર સ્વાદિયા
કાર્ટુન અને કોમિક્સ- ચિત્રકથાઓની દુનિયા જ નિરાળી હોય છે. અખબારો અને સામયિકોમાં તેની ચિત્રપટીઓ લોકપ્રિય હોય છે સંપૂર્ણ ઠઠાચિત્રો સાથેનાં મેગેઝિન પણ બહાર પડે છે.
છ સાત દાયકા પહેલાં કાર્ટુનિસ્ટ “શનિ” દ્વારા પ્રકાશિત “ચેત મચ્છંદર” જેવાં સાપ્તાહિકમાં આવતી “હાલ્ય ઘોડી હામે પાર” કાર્ટુન શ્રેણી રાજકીય વ્યંગબાણ માટે બેહદ લોકપ્રિય બની ગઇ હતી. આજે પણ “ટાઇમ્સ ઓફ ઇંડિયા”ના આર.કે.લક્ષ્મણની દૈનિક પટી “યૂ સેડ ઇટ”ના કોમનમેન, સુધીર તેલંગ, મંજુલ, બાળાસાહેબ ઠાકરે, શંકર્સ વીકલીના શંકર, ગુજરાતીમાં દેવ ગઢવી, બલિ, નારદનાં અને જીવરામ જોષીનાં છકો-મકો તેમજ ગાંડિવનાં બકોર પટેલ જેવાં પાત્રો પણ રોજિંદાં જીવનની વિસંગતિઓ ઉપર સચોટ પ્રહાર કરતાં રહ્યાં છે.
અ બાળવાર્તાઓનાં શોખીન બાળકોને શ્રીક્રુષ્ણ, રામ, હનુમાન, ભક્ત પ્રહલાદ, જેવાં એનિમેશન પાત્રોની માહિતી સાદી ભાષામાં સમજાવતી ચિત્રકથાઓનાં પુસ્તકોની પણ આજકાલ ઘણી માંગ રહે છે.
આવી અનેક પ્રકારની ચિત્રકથાઓનાં પુસ્તકોની શ્રેણીમાં અમર ચિત્રકથાઓ અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. એ કોમિક્સ દેશની વીસ ભાષાઓમાં પ્રસિધ્ધ થાય છે અને તેની કુલ નવ કરોડ જેટલી નકલો વેચાઇ હોવાનું માનવામાં આવે છે.
એ ચિત્રકથાઓના સર્જક એવા દાદાજીનું નામ તો તમે જાણતા જ હશો. તેમનું નામ છે અનંત પૈ..તેઓ અત્યારે એંસી વર્ષના થયા છે. બાળકોમાં તેઓ “અંકલ પૈ”નાં નામથી જાણીતા છે. તેમને પોતાની આ સુદીર્ઘ સર્જન-યાત્રાથી સંતોષ છે. જો કે તેમને જીવનમાં ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો છે.
અનંત પૈ પોતે સ્વીકારે છે કે તેમનાં કોમિક્સનાં પાત્રો સમયનાં વહેણ સાથે બદલાતાં રહ્યાં છે. તેમની રૂચિ સર્જનાત્મક સાહિત્યમાં હોવા છતાં તેમણે ન છૂટકે વિગ્નાનનો અભ્યાસ કરવો પડ્યો હતો. તેમણે પાંચ છ વર્ષો સુધી અખબારમાં કામ કરવાનો પણ અનુભવ લીધો હતો.
1967માં તેમણે દિલ્હીમાં એક વિશાળ હોર્ડિંગ હોયું. તેમાં કોઇક સ્પર્ધા માટે સવાલ પૂછાયો હતો :”રામની માતા કોણ હતી?” એ સવાલ ઉપરથી તેમને દેશનાં પૌરાણિક પાત્રો સર્જવાનો વિચાર સ્ફૂર્યો. મુંબઇ ફર્યા બાદ તેમણે પ્રકાશકો સાથે ચર્ચા કરી અને તેમણે “રામના પુત્રો” તથા “ક્રુષ્ણના પુત્રો” નામનાં કોમિક્સ બહાર પાડ્યાં. એ પુસ્તકોની લાખો નકલો ચપોચપ વેચાઇ ગઇ.
બસ, ત્યાર પછી તો જાણે તેમનાં કોમિક્સનો ખજાનો ખૂલી ગયો. પૈએ પૌરાણિક પાત્રો ઉપરાંત
ચાણક્ય, પ્રુથીરાજ ચૌહાણ, જેવાં ઐતિહાસિક પાત્રો જ નહિ પણ કલ્પના ચાવલા અને જે.આર.ડી.તાતા જેવાં પ્રેરણાદાયી પાત્રોનાં જીવન ઉપર આધારિત આધુનિક ચિત્રકથાઓ પણ બનાવી. 1985 સુધી કોમિક્સનું એકચક્રી શાસન ટકી રહ્યું પણ ત્યારબાદ ટેલિવિઝનના માધ્યમે
કાર્ટુન નેટવર્ક અને પોગો જેવા કાર્યક્રમોનાં જીવંત લાગતાં પાત્રોએ પુસ્તકોના પ્રભાવને માઠી અસર કરી. જો કે પ્રકાશકો દ્વારા અને અખબારી પૂર્તિઓમાં બાળકોને લલચાવતી અનેક તરકીબો અને સ્પર્ધાઓ યોજાતી રહે છે.
2007 માં એ.સી.કે.મિડિયા નામની કંપનીએ “અમર ચિત્રકથા”નું પ્રકાશન સંભાળ્યું. આજકાલ ટેલિવિઝનની ચેનલોમાં પ્રસારિત થતી એક ખાસ વિગ્યાપનમાં સફેદ ટચુકડી ઢીંગલી જેવાં થોડાં
રમતિયાળ પાત્રોને અભિનય કરતાં બતાવાય છે. એ પાત્રોને ઝૂઝૂઝ કહેવાય છે. કોમિક્સનાં પાત્રો જેવાં દેખાતાં એ પાત્રો અસલમાં નાની બાળાઓ જ છે અને તેઓને પગથી માથાં સુધી સફેદ રૂ જેવાં ખાસ પ્રકારનાં વસ્તોથી ઢાંકી દેવામાં આવે છે. તેઓના સંવાદો દર સેકંડની વીસ ફ્રેમની ઝડપે રેકોર્ડ કરવામાં આવે છે અને તેઓ અંતરીક્ષના અન્ય કોઇ ગ્રહની ભાષા બોલતાં હોય એવો આભાસ ઊભો કરવા તેને અવાજ આપતા કલાકારો પાસે ન સમજાય એવી સાંકેતિક ભાષા ઝડપથી
બોલાવવામાં આવી છે.
કોમિક્સનાં વિશ્વ-વિખ્યાત બની ગયેલાં મિકિ માઉસ અને ડોનાલ્ડ ડક જેવાં પાત્રોને પણ આપણા આલિશાન મોલમાં સજાવી શણગારીને મનોરંજન માટે હાજર રાખવામાં આવતાં હોય છે ને?
આમ ચિત્રકથાઓનાં પાત્રો અને વાસ્તવિક જીવનનાં પાત્રો વચ્ચેની આ ખેંચતાણ સમજવા જેવી અને ગ્નાન સાથે મનોરંજન પૂરું પાડે એવી છે. અન્ય લલિત કલાઓની જેમ તેના વિશે પણ વ્યાપક
સંશોધન કરીને તેનું સંવર્ધન થવું જોઇએ.